17 જૂન, 2012

ઇકો કલબ

ઇકો કલબ
પ્રસ્‍તાવના
શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોએ વિકાસશીલ દેશો વિવિધ સમસ્યાઓ પ્રત્યે જાગૃત થઇ વિકાસયાત્રા વધુ સરળ બનાવવા તરફ ધ્યાન દોર્યું છે અને એટલે જ કમ્પ્યુટર શિક્ષણ, વસતિ શિક્ષણ, ર્જા શિક્ષણ, પર્યાવરણ શિક્ષણના નવા ક્ષેત્રો તરફ અભ્યાસીઓ આકર્ષાયા છે. નવા અભ્યાસક્રમોની સંરચના સમયે અભ્યાસક્રમ ધડનારાઓએ આ પ્રકારના નવા વિષયોના સ્વરૂપ, વ્યાપ અને કાર્યક્ષેત્ર જેવા એકમોને અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. પર્યાવરણ જાળવણી અને તે માટેના માનવકાર્ય તરફ સંયુકત નિર્દેશ કરતો વિષય એટલે પર્યાવરણ શિક્ષણ.
વ્યકિતએ પોતાની આજુબાજુ રહેલી ધણી બાબતો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યવહાર કરવાનો હોય છે. આ આસપાસની બાબતોમાં કેટલાક ભૌતિક અને કેટલાક સજીવ ધટકોનો સમાવેશ કરી શકાય છે. માનવીની આ દુનિયામાં પર્યાવરણની ગતિવિધિને કારણે જીવનકાર્ય વધુ નુ વધુ સરળ થતું આવ્યું છે. સૂર્યોદય થતાં જ પર્યાવરણના ધટકો પરસ્પર સહકાર સાધી ચેતન સૃષ્ટિમાં જીવંતતા લાવે છે. દુનિયામાં વસ્તીવધારાએ અને માનવીની કેટલીક ખોટી દોટને કારણે પર્યાવરણનો પ્રશ્ન ભારે વિકટ બન્યો છે. ધરતી પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિવાસસ્થાન છે.
વર્ષ ૧૯૮૬ માં જાપાનમાં હિરોશીમા ખાતે અભ્યાસક્રમ સુધારણા ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉ. ગુણવંત શાહે “ Gandhi and Global Peace ” પર એક પેપર રજૂ કર્યું હતું જેમાં વૈશ્વિક ચાર સમસ્યાઓ પરત્વે ચિંતા વ્યકત કરવામાં આવી હતી તેમાંની એક સમસ્યા એટલે પર્યાવરણ સાથે અસમતુલન ( કુદરત સાથે હિંસા ) પર્યાવરણ સમતુલાનો પ્રશ્ન એ આજે એક વિશ્વ સમસ્યા છે. દિવસે - દિવસે પ્રદૂષણ વધવાથી તેના વિપરીત પરિણામોએ લોકોને વિચારતા કરી મુકયા છે. આ સંદર્ભે વર્ષ ૨૦૦૧ માં એક કૉન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોકજાગૃતિ માટે નેશનલ ગ્રીન કોર્પ્સનો મુદ્રૃો ચર્ચવામાં આવ્યો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રકારની પર્યાવરણની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રત્યે ચિંતા વ્યકત કરીને તમામ પ્રકારના અભ્યાસક્રમોમાં પર્યાવરણને એક વિષય તરીકે દાખલ કરવા માટે હિમાયત કરી છે.
આપણે સૌ પર્યાવરણના એક ભાગ છીએ. પર્યાવરણ તરફના આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી ધણા પર્યાવરણીય પ્રશ્નો હલ થઇ શકે તેમ છે. આપણા વિસ્તારને ચોખ્ખો રાખીએ અને વસ્તુઓના પુનઃ ઉપયોગથી કુદરતી સ્ત્રોતનું જતન કરીએ. ૧૦૦ કરોડની વસતીવાળા આ દેશમાં આ બાબત રાતોરાત ફેરફાર થઇ શકે નહી. પરંતુ બાળકો દ્વારા સમાજની વર્તણૂંકમાં ફેરફાર કરી શકાય. બાળકોમાં સ્વાર્થ હોતો નથી અને તેઓના મનમાં નવા વિચારો સહેલાઇથી આપી શકાય છે. તેઓ આપણું ભવિષ્ય છે. દરેક બાળક પોતાના કુટુંબમાં અગત્યની અસર ઉપજાવી શકે છે. તેથી ભારત સરકારે દેશના તમામ જિલ્લાઓમાં ઇકો કલબ ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇકો કલબ શું છે?
ઇકો કલબ એટલે શાળાના પ્રકૃતિપ્રેમી વિઘાર્થીઓનું એવું એક સંગઠન કે જે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણની કુશળતા અને જાણકારી પૂરી પાડતી એક અનૌપચારિક સક્રિય વ્યવસ્થા.
મહત્‍વનો લક્ષ્‍યાંક
પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા દેશમાં શાળાના બાળકોને સાંકળી ઇકો કલબની સ્થાપના કરવી

શિક્ષકની ભૂમિકા

સૌ પ્રથમ જે શાળાઓમાં આ કાર્યક્રમ અમલમાં મૂકાનાર છે તે શાળામાંથી એક શિક્ષકને પસંદ કરવામાં આવશે અને આ શિક્ષકોને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે. સાથે ઇકો કલબના સભ્યોને પોતાની શાળામાં તેમજ અન્ય શાળાઓમાં પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે.
પ્રવૃત્તિઓ

પ્રાથમિક શાળાના બાળકોની બનેલી ઇકો કલબ સમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી બાબતો મુખ્ય છે
ધન કચરાનો નિકાલ.
પ્રદૂષણ અટકાવવામાં મદદગારી.
પાણીની અછત નિવારણની કામગીરી.
નાગરિક સુવિધાઓમાં મદદગારી.
સ્કુલ, ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ.
પાણીનો બગાડ અટકાવવાની જાગૃતિ.
જાહેર બાગ - બગીચાની જાળવણી.
લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ અને વલણ તથા અભિરૂચિ કેળવવી.
જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.

ઇકો કલબ અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓ

સ્વસ્થ જમીનની રચના.
શાળા ઔષધબાગની રચના કરવી.
શાકભાજીના બગીચા કરવા.
કચરાનાં કંપોઝ ખાડા કરવાં.
પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના સ્થળો જેવાકે વન્યપ્રાણી ઉઘાનો, અભ્યારણ્યો તથા પ્રદૂષણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગોઠવવી. જાગૃતિ માટે શિબિરોનું આયોજન કરવું.
શાળાઓમાં કે જાહેર જગ્યાઓમાં વૃક્ષોના વાવેતરની કામગીરી તેમજ શાળા, કૉલોની, જાહેર સ્થળો અને તેમની આસપાસની જગ્યાએ સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી. વ્યકિતગત સ્વચ્છતા પ્રત્યે સભાનતા ઉભી કરવી. જેમકે જમતાં પહેલાં હાથ ધોવા, ડોયાથી પાણી પીવું, નખ કાપવા, ખોરાક - પાણીને ઢાંકીને રાખવા, ગંદકી કરવી નહિં.
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા શિક્ષણ આપવું.
શાળા કે બહારના જાહેર બાગ - બગીચાની સ્વચ્છતા અને જાળવણી માટે સભાનતા કેળવવી.
આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અંગેની સ્પર્ધાઓ અને વાર્તાલાપ અંદરો અંદર યોજવા. દા.ત. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા.
ઉત્સવોની ઉજવણી કરવી. વિશ્વ પર્યાવરણ દિન, વનમહોત્સવ, વન દિવસ વગેરે
§§§